More than 10 lakh people in the state will get loans up to Rs 1 lakh at 2% interest, with only 2% interest to be paid.

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના : સરકારે જાહેર કરેલી 2% વ્યાજદરની લોન કેવી રીતે મળશે?
રાજ્યના 10 લાખથી વધારે લોકોને 2% વ્યાજદરે એક લાખ સુધીની લોનનો લાભ મળશે, માત્ર બે ટકા વ્યાજ ભરવાનું રહેશે.
ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાના વેપારીઓ અને દુકાનદારો માટે એક લાખ રૂપિયા સુધીની લોનની જાહેરાત કરી છે. આ લોનનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં લોન લેનાર વ્યક્તિએ કોઈ જ ગેરન્ટી આપવી પડશે નહીં. આ યોજનાનો લાભ 10 લાખથી વધારે લોકોને મળી શકે છે. આ લોનનો દર પણ ખૂબ જ વ્યાજબી બે ટકા રાખવામાં આવ્યો છે. આ મામલે ગુજરાતના સહકારી અગ્રણી તેમજ ગુજકામાસોલના ચેરમેન દીલિપ સંઘાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ સરકાર આવી યોજના લાવી નથી. આ યોજનાથી લૉકડાઉન બાદ લોકોને પોતાના ધંધા શરૂ કરવામાં અને ઘર બરાબર ચાલે તે માટે ખૂબ મદદ મળશે. આગળ જાણો તમારા દરેક સવાલનો જવાબ...
કેટલા રૂપિયા સુધીની લોન મળશે? : આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે.
કેટલું વ્યાજ ચૂકવવું પડશે? : લોન લેનાર વ્યક્તિએ ફક્ત બે ટકા વ્યાજ ચૂકવવું પડશે. લોન પરનું છ ટકા વ્યાજ સરકાર ચૂકવશે.
કોને લોન મળી શકશે? : નાના ધંધો કરતા વાળંદ, ધોબી, પ્લમ્બર, નાની કરિયાણા દુકાન, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર વગેરેને લાભ મળશે.
ફોર્મનું વિતરણ કઈ તારીખથી થશે? : આત્મનિર્ભર ગુજરાત નામની આ યોજના માટેના અરજી ફોર્મનું વિતરણ 21મી મેથી શરૂ કરવામાં આવશે.
ફોર્મ ક્યાંથી મળશે? : રાજ્યની 1000 જેટલી જિલ્લા સહકારી બેન્કની શાખાઓ, 1,400 અર્બન કો-ઓપરેટીવ બેન્કો, 7,000 ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ સહિત કુલ 9000 જગ્યાએથી ફોર્મ મળશે.
કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે? : આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક નાના વેપારી કે બિઝનેસમેને ફોર્મ ભરીને 31મી ઓગષ્ટ સુધીમાં શાખાઓમાં પરત આપવાના રહેશે.
કેટલી ફી ચૂકવવી પડશે? : ફોર્મ માટે કોઈ ફી લેવામાં નહીં આવે. લોન મંજૂર કરવા માટે પણ કોઈ કમિશન નહીં લેવામાં આવે.
ગેરન્ટી તરીકે શું આપવાનું રહેશે? : આ યોજના હેઠળ લોન લેવા માટે અરજીકર્તાએ કોઈ જ ગેરંટી નથી આપવાની. ફક્ત સરકારે નક્કી કરેલા પ્રમાણપત્રો આપવાના રહેશે.