Railway News : ટ્રેનના જનરલ કોચમાં હવે નહીં જોવા મળે ભારે ભીડ, જેટલી સીટ હશે એટલી જ ટિકિટ મળશે !
ભારતીય રેલવેએ યાત્રીઓના આરામ માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવે જનરલ કોચમાં લિમિટેડ ટિકિટ જ મળશે. જોકે આ અંગે વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે.
ભારતીય રેલવે સતત યાત્રીઓને વધુ આરામદાયક મુસાફરીના ઉદ્દેશથી નિયમોમાં ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી જનરલ કોચમાં મુસાફરોની ભારે ભીડ એક મોટો પ્રશ્ન રહી છે, જ્યાં માત્ર 75 થી 80 બેઠકો હોવા છતાં 400થી વધુ મુસાફરો મુસાફરી કરતા હતાં. હવે રેલવેએ આ પરિસ્થિતિને સુધારવા માટે નવી પદ્ધતિ અમલમાં મૂકી છે.
નવી પાઇલટ યોજના અનુસાર હવે અનારક્ષિત એટલે કે જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ જાહેર કરવામાં આવશે. હાલમાં આ નવી વ્યવસ્થા નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અજમાવવામાં આવી રહી છે. જો આ સફળ રહે તો દેશભરમાં આ નિયમ લાગુ કરવામાં આવશે.
પ્રારંભિક સ્ટેશન પરથી માત્ર 150 ટિકિટ જ મળશે અને ટ્રેનના માર્ગમાં આવતાં સ્ટેશનો પર કુલ ક્ષમતા પ્રમાણે 20 ટકા ટિકિટ જ જાહેર કરવામાં આવશે.
નવા નિયમો હેઠળ હવે એસી કોચ માટે માત્ર 60% અને સ્લીપર કોચ માટે 30% બેઠકોના આધારે જ વેટિંગ ટિકિટ આપવામાં આવશે. આ પગલાં ટ્રેન અને પ્લેટફોર્મ પરની ભીડ ઘટાડવામાં મદદરૂપ બનશે.
15 જુલાઈથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધારકાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર પર મળતાં ઓટીપીની જરૂર પડશે. ઓટીપી દાખલ કર્યા પછી જ ટિકિટ બુકિંગ પૂર્ણ થશે